ઝવેરચંદ મેઘાણીએ જ્યારે અદાલતમાં કહ્યું કે 'હું રાષ્ટ્રવાદી છું...'
'કસુંબીનો રંગ' અને 'કોઈનો લાડકવાયો' જેમની ઓળખ છે,
એ ઝવેરચંદ મેઘાણીની આજે 125મી જન્મજયંતી છે. ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય માટે વધારે પ્રચલિત છે, પણ મેઘાણીની બીજી બાજુ પણ છે. 1941માં જ્યારે અમદાવાદમાં હુલ્લડો ફાટી નીકળ્યાં, ત્યારે તંત્ર પર કટાક્ષ કરતું કાર્ટૂન 'મુખડા ક્યા દેખો દર્પન મેં!' ઝવેરચંદ મેઘાણીએ ફૂલછાબ અખબારમાં છાપ્યું હતું. જે બદલ તેમના પર કેસ ચાલ્યો હતો. કેસમાં પોતાનો પક્ષ રજૂ કરતા મેઘાણીએ નિવેદન આપ્યું હતું. નિવેદનના કેટલાક અંશો :- નિવેદનમાં ઝવેરચંદ મેઘાણીએ કહ્યું, 'હું રાષ્ટ્રવાદી છું અને કોમવાદનો કટ્ટર વિરોધી છું.' "અમદાવાદ શહેરમાં બેફામ ગુંડાગીરી પ્રવર્તી રહી હતી, ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવનારા અધિકારીઓ કર્તવ્ય ભૂલ્યા છે, તે અર્થ છે." "આ ગુંડાગીરીને સલ્તનતનાં સાધનો આંખના એક પલકારામાં અટકાવી શક્યાં હોત અને નાબૂદ કરી શક્યાં હોત. ઝવેરચંદ મેઘાણી પર આ કેસ પાંચ મહિના ચાલ્યો હતો. ત્યારબાદ તેમને નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા.

