જાણો કોરોના અને લોકડાઉન વચ્ચે શિક્ષણની શું સ્થિતિ છે…
લગભગ અઢી મહિનાથી કોરોનાને પગલે દેશભરની શાળાઓ બંધ છે. યુનેસ્કોના અંદાજ પ્રમાણે ભારતમાં 30 કરોડથી વધુ બાળકો શાળાથી વંચિત થયા. બાળકોનું શિક્ષણ ના બગડે એટલે ઓનલાઇન શિક્ષણની વાત વહેતી થઈ અને એ દિશામાં પ્રયત્નો પણ થયા.આવનારા દિવસોમાં શાળાઓ ક્યારે ખુલશે અને સામાજિક અંતર રાખીને કેવી રીતે ભણાવાશે એ વિશે મતમતાંતરો છે. સમસ્યા પણ મોટી છે.
આ વાસ્તવિકતા વચ્ચે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ભારતમાં કેટલા બાળકો અને કેવી રીતે ઓનલાઈન શિક્ષણ મેળવવા સક્ષમ છે. નેશનલ સેમ્પલ સર્વેના છેલ્લા સર્વે પ્રમાણે ભારતમાં માત્ર બે જ રાજ્યો એવા છે જ્યાં કમસેકમ 40 ટકા ગ્રામીણ પરિવારો પાસે ઇન્ટરનેટની સુવિધા છે.આ રાજ્યોમાં હિમાચલ પ્રદેશ(48.6%) અને કેરળ(46.9%) નો સમાવેશ થાય છે (જુઓ નકશો).

ઝારખંડ જેવા આદિવાસી કેન્દ્રિત રાજ્યમાં માત્ર 11 ટકા પરિવારો એવા છે જ્યાં કોઈ સભ્ય કોમ્પ્યુટર લિટરેટ છે. આપણા ગુજરાતમાં પણ આદિવાસી વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ સાથે નેટથી સંપર્ક એટલો સહેલો નથી જેટલો અમદાવાદના વિદ્યાર્થીઓ સાથે.
કોમ્પ્યુટર વંચિત કે નેટ વંચિત ગ્રામીણ બાળકોની સમસ્યા કરતા પણ અનેકગણી મોટી સમસ્યા શિક્ષણના સ્તરની છે. વર્ષ 2018માં પ્રથમ સંસ્થા દ્વારા કરાયેલ અભ્યાસ પ્રમાણે ગ્રામીણ ભારતના પાંચમા ધોરણમાં ભણતા માત્ર 50 ટકા બાળકો બીજા ધોરણનનું પુસ્તક વાંચી શકે છે. માત્ર 28 ટકા બાળકો ભાગાકાર કરી શકે છે.ગંભીર સમસ્યા તો અધવચ શાળા છોડનાર વિદ્યાર્થીઓની છે. ગરીબાઈ ,મજૂરી, બાળલગ્ન જેવી સમસ્યા માત્ર ગ્રામીણ ભારતમાં જ નહીં શહેરોમાં પણ છે.
લાખોની સંખ્યામાં સ્થરાંતરીત શ્રમિકો જેમાના અનેક તેઓના શાળામાં ભણતા બાળકોને લઇ વતન પહોંચી ગયા તેઓના શિક્ષણ વિશે વિચારવું રહ્યું. શાળા બંધ છે તો ઓનલાઈન શિક્ષણ હાથવગું છે એવો ત્વરિત વિચાર આવે પણ તેનો અમલ દેશના તમામ બાળકો માટે કરવો અશક્ય છે. આ વાસ્તવિકતાને એટલા માટે ધ્યાનમાં રાખવી પડે કારણકે કોરોના મહામારીની વર્તમાન અને ભવિષ્યની સ્થિતિ ઘણી ગંભીર છે.
(તસ્વીર અને નકશો તેમજ કેટલીક માહિતી સાભાર “મિન્ટ” અખબાર)
